તાલીમથી ઉદ્યોગસાહસિક તૈયાર કરી શકાય ?
આવો સવાલ એક અગ્રગણ્ય કોલમરાઈટરે ઉઠાવ્યો હતો.
મારો જવાબ ‘હા’ હતો…………..પણ કેટલીક શરતો સાથે.
નાના બાળકોને શિક્ષણ દ્વારા તૈયાર કરી શકાય ?
વિદ્યાર્થીઓ શિક્ષણ દ્વારા તૈયાર થાય છે?
પ્રૌઢ શિક્ષણના વર્ગો ચાલે છે ?
જો આ બધામાં પરિણામો હકારાત્મક આવતા હોય તો ઉદ્યોગસાહસિક પણ તાલીમ દ્વાર તૈયાર થઈ શકે. સ્કીલ ફોર્મેશન, ઇન્ફોર્મેશન ગેધરીંગ, નોલેજ શેરીંગ, એક્સપીરીયન્સ લર્નીંગ…. જો આ બધી પ્રોસેસીસનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ‘ઉદ્યોગસાહસિક’ પણ તાલીમ દ્વારા ઉભા કરી શકાય. ઉદ્યોગસાહસિકની તાલીમ ‘એડલ્ટ લર્નીંગ’ છે આથી તાલીમ આપનાર એવું ન કહી શકે કે ‘આમ જ થાય’, જેમ બાળકોને શીખવીયે કે બે વત્તા બે એટલે ચાર થાય. અહીં તો સામેવાળી વ્યક્તિ પોતાના સ્વતંત્ર વિચારો ધરાવે છે, તેની પાસે માહિતી છે, જ્ઞાન છે, અનુભવ છે. આથી તમે કહો તે સ્વીકારશે એવું કહી ન શકાય. તમારે સામેવાળી વ્યક્તિને ‘એસેસ’ કરવો પડે, તે શું જાણે છે, તેના વિચારો શું છે, કેવા છે, એ જાણવું પડે. પછી તેમાં ઉદ્યોગસાહસિક બનવા માટે શું ઊણપ છે તે નક્કી કરવું પડે અને જે ઉણપ હોય તેની પુર્તિ – માહિતી આપીને, જ્ઞાનની આપ-લે કરીને, અનુભવ કરાવીને – કરવી પડે. જો આ થઈ શકે તો ‘ઉદ્યોગસાહસિક’ ચોક્કસપણે તૈયાર થઈ શકે. આ કાર્ય સમય માગી લે તેવું છે આથી ઉદ્યોગસાહસિકતા વિકાસની સંસ્થાઓ જે બીબાઢાળ કાર્યક્રમો ચલાવે છે તે રીતે ન થઈ શકે.
આમ જુઓ તો સરકારની ‘કર્મયોગી’ (સરકારી કર્મચારીઓને આપવામાં આવેલી તાલીમ પણ અસરકારક રહી નથી. મુખ્ય કારણ તાલીમના ઇનપુટસ અને પધ્ધતિ. પરદેશમાં ચાલતા કાર્યક્રમોના બેઠા ટાઈમટેબલ લાવીને તાલીમ આપો તો તાલીમ નિષ્ફળ જ નીવડે. વિદેશોમાં કર્મચારીઓની કામ માટેની ‘નિષ્ઠા’ હોય છે આથી તેઓને તાલીમ ઇનપુટસ માં ‘નિષ્ઠા’ સમાવેશ કરવાની જરુર નથી લાગી. જ્યારે આપણે ત્યાં કાર્ય પ્રતિ ‘નિષ્ઠા’નો અભાવ છે. કર્મચારીઓની તાલીમમાં આપણે ‘કાર્ય પ્રતિ નિષ્ઠા’ અંગેના ઇનપુટ્સ ડીઝાઈન કરવા પડે. જે થયું નહી અને ‘કર્મયોગી’ તાલીમના યોગ્ય પરિણામો મળ્યા નહી.
હાલની ઉદ્યોગસાહસિક વિકાસની તલીમમાં પણ આવું જ છે. ફક્ત ‘ઇન્ફોર્મેશન ગીવીંગ’ સિવાય કોઈ ઇનપુટ રહ્યા નથી. એમાં પણ મોટીવેશનના કાર્યક્રમમાં તો ‘સુંઠના ગાંગડે ગાંધી’ થયેલા લોકો તાલીમ આપે છે. જો કે આ આજની પરિસ્થિતિ નથી પહેલેથી જ આવી પ્રથા ચાલી આવી છે. મોટીવેશનમાં પણ ‘એચીવમેન્ટ મોટીવેશન’ સિવાયના કોઈ ઇનપુટ નથી. ઉદ્યોગસાહસિક બનવા માટે જરુરી ‘રીસ્ક ટેકીંગ એબીલીટી’ માં વધારો કરવો કે ‘પાવર મોટીવેશન’ અંગે કોઈ અલગ ઇનપુટ અપાતા નથી. પરદેશમાંથી આયાત કરેલા ટાઈમટેબલ આનો ઉલ્લેખ થતો નથી, કારણ કે એ લોકોને તેની જરુર નથી. પરદેશીઓ સલામતીની ચિંતા કર્યા ગમે ત્યાં નીકળી પડે છે અને તેમને ત્યાં ‘આઈ’ – ‘I’ (પાવર મોટીવેશન) હંમેશા કેપીટલ રહેલો છે.
તાલીમ દ્વારા ‘ઉદ્યોગ સાહસિક’ બની શકે……… પણ યોગ્ય તાલીમ આપવી જોઈએ.